February 07, 2017

શ્રીજી ની લીલા


શ્રીજીની લીલા 
-: સદગુરૂ શ્રી શ્યામળીયા ચૈતન્યાનંદ સ્વામીની વાતો માંથી :-



                  સોમલેખાચારે નિષ્કુળાનંદસ્વામીને પૂછ્યું જે,"ભુજમાં રામાનંદસ્વામીએ શો ઠપકો દઈને વાત કરી હતી?" ત્યારે નિષ્કુળાનંદસ્વામીએ કહ્યું જે,"મહારાજ લોજમાં આવ્યા ને મુક્તાનંદસ્વામી પાસે રહ્યા.પછી તરત રામાનંદસ્વામીને અંતરજામીપણે ખબર પડી જે, 'મહારાજ પધાર્યા,તે આપણે હવે ચિંતા ઊતરિ ને પરમ આનંદ થયો.'એમ જાણીને સર્વે હરિભક્ત ઉપર કાગળ લખ્યા જે,'લોજમાં તપસ્વી આવ્યા છે તને દર્શને જાજ્યો.'

       ત્યારે મને વિચાર થયો જે,'એવા તપસ્વી તો ઘણાય આવે છે ,માટે હું તો રામાનંદસ્વામીને દર્શને જાઉં.'એમ વિચારીને હું ભુજ ગયો. ત્યાં રામાનંદસ્વામી ઢોલીયા ઉપર સૂતા સૂતા હરિભક્ત આગળ વાત કરતા હતા.ને મને દેખીને મોઢા ઉપર ઓઢતા નથી અને ઘણા હેતથી મુને બોલાવે છે;' એવા વિચારમાં હું પગે લાગીને બેઠો.

      પછી રામાનંદસ્વામીએ મોઢું ઉઘાડીને મને કહ્યું જે,'લોજ તપસ્વી આવ્યા છે,તેને દર્શને કેમ ગયા નહિ?ને આહીં આવ્યા?' ત્યારે મેં કહ્યું જે,'તમને મેલીને લોજ શું કરવા જાઉં? એવા તપસ્વી તો ઘણાય આવે છે, એમ જાણીને હું તમારે દર્શને આવ્યો.'ત્યારે રામાનંદસ્વામીએ કહ્યું જે,'તમે બહુ ખોટું કર્યું! તમારે લોજ જાવું હતું.' એમ કહીને બીજા હરિભક્ત આગળ વાત કરવા લાગ્યા.

         અને વળી ઘડીક રહીને મારા સામું જોઇને કહ્યું જે,'લાલજી ભગત,તમે બહુ ખોટું કર્યું!' ત્યારે મેં કહ્યું જે,'મહારાજ ! મેં શું ખોટું કર્યું?' ત્યારે સ્વામીએ કહ્યું જે,'લોજ ગયા નહિ તે ખોટું કર્યું,ને ગયા હોત તો તપસ્વીનાં દર્શન થાત ને મોટો લાભ થાત.'પછી મેં કહ્યું જે,'તમો વારે વારે કહો છો, તે તપસ્વી કેવા મોટા છે?' ત્યારે સ્વામીએ કહ્યું જે,'અતિ મોટા છે.'

         પછી મેં કહ્યું જે,'વ્યાપકાનંદ સ્વામી જેવા?' ત્યારે સ્વામીએ કહ્યું જે,'એ તે એમની આગળ શું!'પછી મેં કહ્યું જે,'હરિદાસ તે એમની આગળ શું!પછી મેં કહ્યું જે, 'રામદાસજી જેવા?' ત્યારે કે,'રામદાસજી તે એમની આગળ શું!' ત્યારે મેં કહ્યું જે,'મુકુંદદાસજી જેવા ?' ત્યારે કે જે,'મુકુંદદાસજી તે એમની આગળ શું!' ત્યારે મેં કહ્યું જે,'રઘુનાથદાસ જેવા?'ત્યારે કે જે,'એ તે એની આગળ શા લેખામાં!' ત્યારે મેં કહ્યું જે, 'તમારા જેવા?' ત્યારે તેમણે કહ્યું જે,'હું પણ એમની આગળ શું....?! મારા જેવા તો અનંત છે....!!' ત્યારે મને એમ સંશય થયો જે, આ તે સ્વામી શું કહે છે....?! તેથી બહુ વસમું લાગ્યું.

        અને વળી બીજા હરિભક્ત આગળ તપસ્વીની વાતું કરતા જાય ને રમુજ કરતા જાય. અને વળી મારા સામું જોઇને કહ્યું જે,'લાલજી ભગત! તમે બહુ ખોટું કર્યું.' ત્યારે મેં કહ્યું જે,'આવડું મેં જાણ્યું નહોતું,નહિ તો લોજ જાત.'તેવામાં કોઈ સુતાર હરિભક્તે આવીને રામાનંદ સ્વામીને કહ્યું જે,'આજ મારું નોતરું છે,તે થાળ કરાવું છુ.' ત્યારે કહ્યું જે, 'જાઓ કરાવો.' પછી થાળ તૈયાર થયો એટલે તે તેડવા સારું આવ્યો.ત્યારે સ્વામી જમવા ચાલ્યા ને મને કહે જે, 'તમે પણ ચાલો.'ત્યારે હું પણ ગયો. પછી સ્વામી તેને ઘેર ઢોલીયા ઉપર બિરાજમાન થયા ને સુતારે ઘરમાં જઈને થાળ તૈયાર કર્યો. પછી સ્વામીને કહ્યું જે, 'જમવા ઉઠો.' ત્યારે સ્વામી જમવા ઉઠ્યા ને પાટલા ઉપર બિરાજ્યા.






.

No comments:

Post a Comment